ગુજરાતી વ્યાકરણ : વિભક્તિ પરિચય અને પ્રકાર
vibhakti-gujarati-vyakaran-grammar |
વિભક્તિઓ એટલે શું ?
- વાક્યના પદો વચ્ચે કર્તા, કર્મ વગેરે જુદાં-જુદાં પ્રકારનાં જે સંબંધો હોય છે તેને વિભક્તિ સંબંધ કે વિભક્તિઓ કહેવામાં આવે છે.
- એ, ને, થી, માં,નો, ની, નું, ના વગેરેને વિભક્તિ પ્રત્યયો કે અનુગો કહે છે.
વિભક્તિ ઓની મહત્વની બાબતો :
- અનુગો અને નામયોગી બન્ને પદની પાછળ આવે છે અને વિભક્તિ દશવિ છે.
- અનુગો પદ સાથે જોડાઈને આવે છે. નામયોગી અલગ મુકાય છે.
- નામયોગીઓ ઘણીવાર પોતાની પહેલાં ને, નો, નું, ના કે નાં વગેરેમાંથી કોઈ અનુગ લે છે.
- અનુગોની સંખ્યા ચોક્કસ છે. જેમ કે, એ, ને, થી, નો, ની, નું, નાં, માં.
- નામયોગીઓ અનેક છે. જેમ કે, વડે વતી, થકી દ્વારા, મારફત, સાથે, સિવાય, વિના, લીધે, કારણે, તરીકે, પેઠે, માફક, માટે, કાજે, વાસ્તે, સારું, ખાતર, તણું, કેરું, પાસે, તરફ, સામે, અંદર-બહાર, ઉપર, નીચે, આગળ, પાછળ, સુધી, અંગે...
- વિભક્તિના અનુગો કે નામયોગીઓ મુખ્યત્વે સંજ્ઞા અને સર્વનામને લાગે છે,
- અનુગો હંમેશા પદની સાથે જોડાઈને આવે છે.
- નામયોગી હંમેશા પદથી અલગ આવે છે.
- ટૂંકમાં વિભક્તિ એટલે સંજ્ઞા કે સર્વનામના પદોનો ક્રિયાપદ સાથેનો કે અન્ય સંજ્ઞા, સર્વનામ સાથેનો સંબંધ.
ગુજરાતી ભાષાની વિભક્તિ ના પ્રકાર
- ગુજરાતી ભાષામાં કુલ આઠ વિભક્તિઓ છે.
(1) પ્રથમા વિભક્તિ (કર્તા વિભક્તિ)
- ક્રિયાનો કરનાર તે કર્તા.
- દરેક ક્રિયાનો કર્તા હોય છે.
- કોઈપણ પદ જયારે ક્રિયાના કરનારને દશવિ ત્યારે તે કર્તા વિભક્તિ છે એમ કહેવાય.
- સામાન્ય રીતે આ વિભક્તિનો પ્રત્યય લખાતો નથી. ક્યારેક એને 'એ' પ્રત્યય લાગાડવામાં આવે છે. :
જેમ કે,
- ગીતા સરસ ગીત ગાય છે.
- શિક્ષક વર્ગમાં ભણાવે છે.
- છોકરીઓ મેદાનમાં રમે છે.
- સુરેશ સરસ ક્રિકેટ રમે છે.
- આદિત્ય હંમેશા કસરત કરે છે.
કર્તા વિભક્તિ ગુજરાતીમાં અનુગ વિના તેમજ 'એ' , 'ને', 'થી' અનુગથી દર્શાવી શકાય છે.
જેમ કે,
- ગીતાએ સરસ ગીત ગાયું.
- મીના કપડાં ધોવા બેઠી છે.
- અમિતને રમવું ગમે છે.
- મુધુથી અવાશે નહિ.
- ગિલાએ છકડાનું હેન્ડલ પકડયું.
અન્ય ઉદાહરણો :
- મને તેની વાત જરાય ન ગમી.
- ખતુડોશીને એક દીકરો હતો.
- પૃથ્વીવલ્લભ ગરવાઈથી ચાલતો હતો.
- ઝવેરબાપા વહેલી સવારે ચાલવા જતાં.
- બાળકો શેરીમાં દોડાદોડી કરી રહ્યાં હતાં.
(2) દ્વિતીયા વિભક્તિ (કર્મ વિભક્તિ)
- કર્તા દ્વારા જે ક્રિયા થાય, જે પ્રવૃત્તિનો આધાર હોય અથવા તો કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે તે કર્મ.
- સામાન્ય રીતે ક્રિયાનો વિષય કે લક્ષ્ય હોય તે બનાવનાર પદને કર્મ કહેવાય.
જેમ કે,
- પ્રદિપ પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.
- શિકારીના પગરવે સિંહણને ચમકાવી.
- ચાલ, તને એક વાર્તા કહું.
- નહીં શકું હાય! બચાવી કોઈને.
- વદનસુધાકરને રહું નિહાળી.
- શિક્ષક બાળકોને વાર્તા કહે છે.
અન્ય ઉદાહરણો :
- જાતમહેનત લોકોને માટે અનિવાર્ય છે.
- ટોલ્સટોયે રશિયનોને ઘણો સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
- ગાંધીજીએ સરદારને આંદોલન શરૂ કરવા કહ્યું હતું.
- અનિરુદ્ધ સાઈકલ લઈને ઘરે પહોંચ્યો.
- ગાંધીજી “યંગ ઈન્ડિયા' પત્ર ચલાવતાં હતા.
- ડ્રાઈવરે બસ પુરપાટ ઝડપે દોડાવી મૂકી.
- દેશના નાગરિકોને બધા અધિકારો પ્રાપ્ત થયેલાં છે.
- લેખકે લોકોને સ્વદેશપ્રેમ પુસ્તકમાં શીખવ્યો છે.
- જીવણલાલે પુત્રને સોનેરી સલાહ આપી.
- શિક્ષક છોકરાઓને મેદાનમાં રમવાં લઈ ગયાં.
(3) તૃતીયા વિભક્તિ (કરણ વિભક્તિ)
- કરણ એટલે સાધન, ક્રિયા કરવામાં જેનો ઉપયોગ થાય તે, ક્રિયા કરવામાં જે ઉપયોગી હોય તે.
- જ્યારે ક્રિયાનું સાધન, રીત કે કારણ દશવિ છે ત્યારે તે કરણ વિભક્તિમાં છે એમ કહેવાય.
જેમ કે,
- ગ્રહી કરે, મસ્તકથી રહ્યો નમી.
- જ્ઞાનબળથી આપણે બીજા પ્રાણીઓ કરતાં ઊંચા છીએ.
- મજૂર કુહાડી વડે વૃક્ષ પર ઘા મારવા જાય છે.
- તેણે બસ મારફત વસ્તુઓ મોકલાવી.
- તેઓએ પેન્સિલથી કાગળમાં અલગ આકૃતિ દોરી.
કરણ વિભક્તિમાં વપરાતા નામયોગીઓ જેવાં કે મારફત, દ્વારા, માફક, વડે પેઠે, જેમ, સાથે વગેરે રીતનો અર્થ દશવિ છે.
અન્ય ઉદાહરણો :
- ટ્રેન થયા પહેલાં તોરણિયા મારફત તેમાં ટપાલ આવતી.
- તેણે દાંત વડે શેરડી ચીરીને ખાધી.
- તેણે આત્મબળ વડે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
- પોતાની કુનેહ વડે મુશ્કેલીઓ દૂર કરી.
- તેણે પ્રામાણિક્તાથી બધાના દિલ જીતી લીધાં .
- કાર્યક્રમમાં ગેરવ્યવસ્થાથી અંધાધૂંધી ફેલાઈ .
- તેઓ ગૌરવથી યશગાથા ગાતાં હતાં.
- હું બસ દ્વારા સાંજે ઘરે પહોચ્યો.
- લેખકે સરસ્વતીની સંનિષ્ઠાથી સેવા કરી.
- આપણે સાત્વિકતા વડે જીવન સમૃદ્ધ બનાવી શકીએ.
(4) ચતુર્થી વિભક્તિ (સંપ્રદાન વિભક્તિ) :
- ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન, આપવાની ક્રિયામાં જે વ્યક્તિ લેનાર હોય તેને સંપ્રદાન કહેવાય છે.
જેમ કે,
- વડીલોને ભગવાને ઘણું આયુષ્ય આપ્યું છે.
- તે ગોપાળોને ગાય આપે છે.
- દાદાજી બાળકી માટે ચોકલેટ લાવ્યાં.
- પિતાજી અમારા વાસ્તે કંઈને કંઈ લઈ આવતા.
- દેશ કાજે જિંદગી હોમી દેવી એ જ શહીદીનો મંત્ર હતો.
સંપ્રદાન વિભક્તિમાં ને, માટે, વાસ્તે, સારું, કાજે, ને માટે વગેરે પ્રત્યયો કે નામયોગી લગે છે.
અન્ય ઉદાહરણો :
- ગંગા અને રઘનાથ મહેમાનોની રસોઈ માટે તૈયાર હતાં.
- શિક્ષક વિદ્યાર્થીઓને સમયપાલનનુંં મહત્વ સમજાવે છે.
- ગાંધીજી સ્વદેશ કાજે લડી રહ્યાં હતાં.
- તેઓ લોકહિત ખાતર સેવા કરતા હતાં.
- હિતેશ અપૂર્વને પેન્સિલ આપે છે.
- તંદુરસ્તી માટે આવશ્યક ખોરાક લેવો જોઈએ.
- બાળકો સારું અવનવાં રમકડાંઓ હું લેતો આવ્યો.
- બધા જમવા માટે આસન પ૨ બેસવા લાગ્યાં.
- લોકોને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળે છે.
(5) પંચમી વિભક્તિ (અપાદાન વિભક્તિ) :
- અપાદાન એટલે છૂટા પડવું તે.
- વાક્યમાં જયારે છૂટા પડવાનો ભાવ (અર્થ) પ્રગટ થતો હોય ત્યારે અપાદન વિભક્ત પ્રયોજાય.
- અપાદાન વિભક્તિમાં છૂટા પડવાનો ભાવ હોય છે. જેનાથી છૂટા પડવાની ક્રિયા થઈ હોય તેને દર્શાવતું પદ અપાદાન વિભક્તિમાં છે એમ કહેવાય.
જેમ કે,
- બપોરે કોશા સ્કુલથી ઘરે આવી ત્યારે દાદા બેઠાં હતાં.
- સાંજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય.
- થોડા દિવસ પછી બેલગામથી આક્કાના વર અમારે ત્યાં આવ્યાં.
- આંબાની છેલ્લી ડાળેથી કેરી પડી.
- હું ઘરેથી સવારે ઓફિસે પહોંચ્યો.
તુલના કે તફાવત દશવિતાં પદોમાં અપાદાનનો અર્થ સૂક્ષ્મ હોય છે. આમ, અપાદાન વિભક્તિના પ્રત્યયો થી, થકી, માંથી, ઉપરથી, પાસેથી, ને લીધે વગેરે છે.
અન્ય ઉદાહરણો :
- વિધાર્થીઓ શાળાથી ઘરે જતાં હતાં.
- હું ગામડેથી શહેર તરફ આવતો હતો.
- હું નિરાશાથી કંટાળી અભ્યાસમાં તલ્લીન થયો.
- પ્રભાસપાટણથી નીકળ્યાને બારમો દિવસ હતો.
- તલવારથી કાંઈ શાંતિ સ્થપાઈ શકે ?
- પિતાજીની માંદગીથી તે ખૂબ જ દુઃખી છે.
- ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા.
- આજથી હું ઉપવાસ ઉપર ઉતરવાનો છું.
- અનુભવજ્ઞાનથી તેઓ બીજા કરતાં અલગ છે.
- પ્રભુભક્તિથી જીવનનાં સંતાપો દૂર કરી શકાય.
(6) ષષ્ઠી વિભક્તિ (સંબંધ વિભક્તિ) :
- એક નામને અન્ય નામ સાથે જોડનાર તે સંબંધ.
- વાક્યમાં સંજ્ઞા કે સર્વનામના પદને ક્રિયાપદને બદલે બીજા સંજ્ઞા કે સર્વનામના પદ સાથે જોડવાની જરૂર પડે છે.
- આમ, જે નામપદ આ રીતે બીજા નામપદ સાથેનો સંબંધ પ્રગટ કરે તે સંબંધ વિભક્તિમાં છે એમ કહેવાય.
જેમ કે,
- અમે તરત જ બપોરનું ભોજન લેવા ગયાં.
- અવર સર્વ ગયા નૃપની કને.
- તમે થાજો સતગુરૃુજીનાં દાસ રે.
- લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો !
- ઉદ્વેગિત મન શાંતિનો અનુભવ કરી રહે છે.
નો, ની, નું, નાં, તણું, કેરું વગેરે સંબંધ વિભક્તિનાં પ્રત્યયો છે.
અન્ય ઉદાહરણો :
- આપણો દેશ હિંદુસ્તાન મહાદેવની મૂર્તિ છે.
- સંકલ્પવીરોની શરૂઆતમાં તો જગત મશ્કરી જ ઉડાવે છે !
- મને નાનપણથી જ ક્રિકેટનો ચસકો લાગ્યો હતો.
- વસંતનું આ પ્રભાત આજે કંઈ નવો જ બોધ કરાવે છે.
- ગામના ફળિયાનું મહત્વ અલગ જ હોય છે.
- આ દિવસોમાં સવારસાંજનાં વાદળોનો સરસ આનંદ-પુંજ હોય છે.
- ગ્રીષ્મ વિદાય થતાં વર્ષાનું આગમન થાય છે.
- ગોવિંદના દીકરાનું નામ હરિપ્રસાદ હતું.
- કીર્તિદેવને મુંજાલના મુત્સદ્દીપણામાં પૂરો વિશ્વાસ હતો.
- વસંત ભારતમાતાની આઝાદી માટે તત્પર હતો.
- સવારે ગામના બધા લોકો એકઠાં થયાં હતાં.
(7) સપ્તમી વિભક્તિ (અધિકરણ વિર્ભાક્ત) :
- ક્રિયાનું સ્થાન કે ક્રિયાનો સમય બતાવનાર પદા અધિકરણ વિભક્તિમાં છે એમ કહેવાય.
- ક્રિયાનો જે આધાર હોય તે અધિકરણ.
જેમ કે,
- ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે.
- ભરતખંડ ભૂતળમાં જનમી જેણે ગોવિંદ ગુણ ગાય રે.
- પરમાર્થી પરાક્રમી ઘણો, પર મુલકમાં પરવરે.
- નહિ વૃક્ષ નહિ વેલ, નહિ પાને નહિ ફૂલે.
- બાળકો ઘરની પાસેના મેદાનમાં રમતાં હતાં.
ગુજરાતી ભાષામાં અંદર, બહાર, ઉપર, નીચે, પાસે, પડખે, તરફ, સામે, પહેલાં, પછી, બાદ, આગળ, પાછળ, સુધી, લગી વગેરે જેવાં નામયોગીઓ પણ ક્રિયાના સ્થાન કે સમય દર્શાવવા પ્રયોજાય છે. એટલે એ અધિકરણ વિભક્તિ દશવિ છે.
અન્ય ઉદાહરણો :
- કાનાના ઘરમાં આવાં ઠામવાસણ છે.
- સાહેબ ખુરશીમાં બેસીને વાતો કરવા લાગ્યાં.
- તેઓ વારાણસી સુધી અમારી સાથે આવ્યાં.
- મહાદેવના ડુંગર પાસે માઈકલ પર્વતની તળેટી આવેલી છે.
- લીલી નાઘેરમાં ગોવિંદનું ખેતર હતું.
- પંખીઓ ડાળીએ બેઠાં-બેઠાં કલરવ કરતાં હતાં.
- નગરની બહાર મોટો કલાત્મક પ્રવેશદ્વાર હતો.
- મુંજાલે વિલાસ તરફ આક્રોશભરી નજરે જોયું.
- અમે જમ્યાં પહેલાં જ ઘરેથી નીકળી ગયાં.
- વરસાદ વરસ્યાં પછી વાતાવરણમાં ઠંડક હતી.
8) અષ્ટમી વિભક્તિ (સંબોધન વિભક્તિ) :
- સંબોધન વિભક્તિ આમ જોતા કર્તા વિભક્તિ જ છે.
- સીધું સંબોધન હોય ત્યારે એ પ્રયોજાય છે.
- વાક્યમાં કોઈને સંબોધન કરવામાં આવ્યું હોય તો એ પદ સંબોધન વિભક્તિમાં છે એમ કહેવાય.
- સંબોધન વિભક્તિનું પદ વાક્યથી સ્વતંત્ર હોય છે અને તેને અલ્પવિરામ કે ઉદ્ગારચિન્હથી જૂદું પાડવામાં આવે છે.
જેમ કે,
- જમાદાર, બંદૂક ગાડામાં મૂકી દો.
- ભાઈરે ! નિત્ય રે'વું સતસંગમાં ને.
- સૂણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન !
- દાદાજી ! અમને વાર્તા કહોને !
- પૂજ્ય પિતાજી ! સવિનય નમસ્કાર !
સંબોધન વિભક્તિમાં હે, ઓ વગેરે જેવાં પ્રત્યયરૂપો પ્રયોજાય છે. એમાં કોઈ અનુગ કે નામયોગીનો ઉપયોગ થતો નથી.
અન્ય ઉદાહરણો :
- ક્ષમા, નાથ ! નહીં એ મેં જાણેલું મનની મહીં !
- હે હ્રદય, દુશ્મન પ્રત્યે સદ્ભાવ રાખ, સદ્ભાવ રાખ.
- ગોવિંદ, તું તારા બાલબચ્ચાંને લઈ વતન ચાલ્યો જા.
- સ્વામીજી, તમે ઘરે ક્યારે પધારશો ?
- કીર્તિદેવ ! તમારી વાત સાચી છે.
- મહારાજ, શબ્દોની શોભાથી હું છેતરાતો નથી.
- રાવસાહેબ ! એમાનું હું કઈ પણ જાણતો નથી.
- બાળકો, આપણે કાલે પ્રવાસમાં જઇશું.
- હે ભગવાન ! મારી ભૂલને ક્ષમા આપજો.
- થેંક યુ અન્કલ ! તમે મને ખૂબ જ મદદ કરી.
કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું: અહીં ક્લિક કરો...